Mark 12

1ઈસુ તેઓને દૃષ્ટાંતમાં કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષરસનો કુંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો. 2મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષવાડીનાં ફળનો ભાગ મેળવે. 3પણ તેઓએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો.

4ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો. તેઓએ તેનું માથું ફોડી નાખ્યું અને તેને ધિક્કારીને નસાડી મૂક્યો. 5તેણે બીજો ચાકર મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. પછી બીજા ઘણા ચાકરો મોકલ્યા, તેઓએ કેટલાકને કોરડા માર્યા અને કેટલાકને મારી નાખ્યા.

6હવે છેલ્લે માલિકનો વહાલો દીકરો બાકી રહ્યો હતો. માલિકે આખરે તેને તેઓની પાસે એમ વિચારીને મોકલ્યો કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.’ 7પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ, તો વારસો આપણો થશે.’

8તેઓએ તેને પકડીને મારી નાખ્યો. અને દ્રાક્ષવાડીમાંથી બહાર ફેંકી દીધો. 9એ માટે દ્રાક્ષવાડીનો માલિક શું કરશે? હવે તે પોતે આવશે, ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષવાડી બીજાઓને આપશે.

10શું તમે આ લેખ નથી વાંચ્યો કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, ખૂણાનો મુખ્ય પથ્થર થયો;’ 11આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દ્રષ્ટિમાં તે અદ્દભૂત છે! 12તેઓએ ઈસુને પકડવાને શોધ કરી; પણ તેઓ લોકોથી ગભરાયા. કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દૃષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.

13તેઓએ ઈસુની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલ્યા છે કે તેઓ વાતમાં તેમને ફસાવે. 14તેઓ આવીને તેમને કહે છે કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો અને પક્ષપાત કરતા નથી, કેમ કે માણસોની શરમ તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસાર રાજાને કર આપવો ઉચિત છે કે નહિ? 15આપીએ કે ન આપીએ?’ પણ ઈસુએ તેઓની ચાલાકી જાણીને તેઓને કહ્યું કે, ‘તમે મારી પરીક્ષા કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.’

16તેઓ લાવ્યા તે તેઓને કહે છે કે, દીનાર પર છાપ તથા લેખ કોનાં છે?’ તેઓએ તેને કહ્યું કે, ‘કાઈસારનાં.’ 17ઈસુએ જવાબ આપતાં તેઓને કહ્યું કે, ‘જે કાઈસારનાં છે કાઈસારને અને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.’ અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા.

18સાદૂકીઓ જેઓ કહે છે કે, પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવ્યા. અને તેઓએ ઈસુને પૂછ્યું કે, 19‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ પત્નીને મૂકીને નિ:સંતાન મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને રાખે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.

20હવે સાત ભાઈ હતા; પહેલો પત્ની સાથે લગ્ન કરીને સંતાન વિના મૃત્યુ પામ્યો. 21પછી બીજાએ તેને રાખી અને તે મૃત્યુ પામ્યો; તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ; અને એ પ્રમાણે ત્રીજાનું પણ થયું. 22અને સાતે સંતાન વગર મૃત્યુ પામ્યા. છેવટે સ્ત્રીનું પણ મૃત્યુ થયું. 23હવે પુનરુત્થાનમાં, તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.’

24ઈસુએ તેઓને કહ્યું કે, ‘શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? 25કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતા નથી, પણ તેઓ સ્વર્ગમાંના દૂતોના જેવા હોય છે.

26પણ મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું. 27તે મૃત્યુ પામેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે. તમે ભારે ભૂલ કરો છો.’

28શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની વાતો સાંભળી. અને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેમને પૂછ્યું કે, ‘બધી આજ્ઞાઓમાં મુખ્ય કંઈ છે?’ 29ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે; 30તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી બુદ્ધિથી અને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. 31અને બીજી આજ્ઞા એ છે કે જેમ તું તારા પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પણ પ્રેમ કર. તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.’

32શાસ્ત્રીએ તેમને કહ્યું કે, ‘ખરેખર ઉપદેશક, તમે ઠીક કહ્યું છે કે, તે એક જ છે, અને તેમના વિના બીજો કોઈ નથી. 33અને પૂરા હૃદયથી, પૂરી સમજણથી, પૂરા સામર્થ્યથી તેમના પર પ્રેમ રાખવો, તથા પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો, તે સર્વ સકળ દહનાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.’ 34તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું કે, ‘તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.’ ત્યાર પછી કોઈએ તેમને પૂછપરછ કરવાની હિંમત કરી નહિ.

35સભાસ્થાનમાં બોધ કરતાં ઈસુએ કહ્યું કે, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે, ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? 36કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી મારે જમણે હાથે બેસ. 37દાઉદ પોતે તેમને પ્રભુ કહે છે; તો તે તેનો દીકરો કેવી રીતે હોય?’ બધા લોકોએ ખુશીથી તેનું સાંભળ્યું.

38ઈસુએ બોધ કરતાં તેઓને કહ્યું કે, ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો; તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, ચોકમાં સલામો, 39સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય સ્થાનો શોધે છે. 40તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓને વિશેષ સજા થશે.’

41ઈસુએ દાનપેટીની સામે બેસીને, લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું અને ઘણા શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા. 42એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે નાના સિક્કા નાખ્યા.

43ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે. કેમ કે તે બધાએ પોતાની પાસે વધારે હતું તેમાંથી નાખ્યું; પણ એ સ્ત્રીએ પોતાની તંગીમાંથી પોતાની પાસે હતું તે બધું એટલે કે પોતાની ઉપજીવીકા દાનમાં આપી.’

44

Copyright information for GujULB